Skip to main content

નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ.
કેટલાક લોકો નરેશભાઈને કટ્ટર જ્ઞાતિવાદી માણસ સમજે છે. જે સમાજના આગેવાન હોય એ સમાજ માટે કામ કરે એ તો સ્વાભાવિક છે પણ બહુ ઓછાને ખબર હશે કે આ માણસ ખુબ સંવેદનશીલ છે. પટેલ દાતાઓના જ ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ કલાસમાં બધી જ જ્ઞાતિના દીકરા દીકરીને પ્રવેશ આપવાની વિશાળતા આ માણસ ધરાવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને 'સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ'ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી સાહેબ જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે.


નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. આટલા વર્ષોથી ખોડલધામ માટે કામ કરે છે અને આટલી દોડાદોડી કરે છે પણ પ્રવાસખર્ચનું એકપણ બિલ એને ટ્રસ્ટમાં નથી નાખ્યું. એમના પોતાના પ્રવાસ ખર્ચનું તો સમજ્યા પણ સહપ્રવાસીનો બધો ખર્ચ પણ પોતે જ ઉઠાવે અને આ ખર્ચો એના અંગત ખાતામાંથી ઉધારાય. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત.
ઊંચા હોદા પર બેઠેલો માણસ વિચલિત બહુ થાય પણ નરેશભાઇની સ્થિરતાનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ઘણીવાર એવું બન્યુ છે કે કોઈ કાર્યમાં મોટા મોટા વિઘ્નો આવ્યા હોય. જો બીજો કોઈ માણસ હોય તો છાતીના પાટિયા બેસી ગયા હોય પણ નરેશભાઇની સ્થિરતા આવા પ્રસંગે પ્રત્યક્ષ જોઈ છે. બીજી બાજુ શબ્દથી વ્યક્ત ના થઇ શકે એવી અદભૂત સફળતાઓ પણ મળી છે. ભવ્ય સફળતાનો નશો પણ આ માણસને નથી ચડ્યો.
શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્નોમાં રસ પણ લે. મોટી સંસ્થા સંભાળતા હોય એટલે ક્યારેક લાલ આંખ પણ કરાવી પડે આમ છતાં એમણે કૃષ્ણની જેમ સુંદર્શનનો ઓછો અને વાંસળીનો વધુ ઉપયોગ કર્યો છે.
કદાચ તમને ખોડલધામ પ્રત્યે વાંધો હોય શકે, નરેશભાઇના કેટલાક અંગત વિચારો પ્રત્યે પણ વાંધો હોય શકે પણ એમના જીવનમાંથી આ પાંચ ગુણો ખરેખર આત્મસાત કરવા જેવા છે.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો.  બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ? પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શ...