Date : 29-08-2017
હું જ્યારે કોલેજમાં હતો ત્યારે અમારા એક પ્રોફેસરે લેક્ચરમાં હીરાલાલ ઠક્કર દ્વારા લખાયેલા "કર્મનો સિદ્ધાંત" પુસ્તકની વાત કરી હતી. મને આ પુસ્તક વાંચવાની ઈચ્છા થઇ. કોલેજ પૂરી કરીને સીધો જ બુક સ્ટોર પર ગયો અને પુસ્તક ખરીદ્યું. લીલા પૂંઠાવાળું અને કોઈપણ જાતની સજાવટ વગરનું દેખાવમાં સાવ સામાન્ય પુસ્તક હતું પણ પુસ્તકમાં અસામાન્ય વાતો હતી.
વિશ્વના લગભગ તમામ ધર્મોમાં કર્મના સિદ્ધાંતની વાતો કરવામાં આવી છે. તમે જેવા કામ કરો એવું ફળ વહેલું કે મોડું મળ્યા વગર રહે જ નહિ એવું મોટાભાગના ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક અતિ વિદ્વાન અને પંડિત લોકોને આ વાતો વાહિયાત લાગે. આ વિદ્વાનો એવું માનતા હોય છે કે લોકો ભય કે ડરના કારણે કદાચ ખોટા કામ કરતા અટકે એટલે આવી હંબક વાતો લખી હોય છે.
હીરાલાલ ઠક્કરના આ નાના એવા પુસ્તકમાં અદભૂત દાખલ અને દલીલો સાથે આ વાતો હંબક નહિ પણ હકીકત છે એ સમજાવ્યું છે. એમણે આપેલું એક ઉદાહરણ મને ખુબ સ્પર્શી ગયું હતું. અનાજની કોઠીમાં જો અનાજ ભરેલું હોય તો કોઠીની નીચેના કાણામાંથી અનાજ જ બહાર નીકળે. કોઠી અડધી અનાજની ભરેલી હોય અને તમે ઉપરથી કચરો નાખવાનું ચાલુ કરો એટલે નીચેના કાણામાંથી કચરો નીકળવાનું ચાલુ ના થાય કારણકે હજુ અનાજ ભરેલું છે. જ્યાં સુધી બધું અનાજ ખાલી ના થાય ત્યાં સુધી કચરો બહાર ના આવે એનો મતલબ એ ના થાય કે કચરો ક્યારેય બહાર જ નહિ આવે. એનો સમય થાશે એટલે બહાર આવ્યા વગર રહેશે જ નહિ.
સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ દ્વારા ગઈકાલે ગુરમિત રામ રહિમને 20 વર્ષની જેલની સજા કરવામાં આવી એ કર્મના સિદ્ધાંતની પુષ્ટિ કરે છે. ગુરમીત રામ રહિમ દ્વારા જે સમાજ ઉપયોગી સારા કાર્યો થયા હોય એનું એને સારું ફળ મળે જ કોઠીમાં અનાજ ભર્યું હોય તો અનાજ બહાર નીકળે જ પણ જો કોઠીમાં કચરો નાખ્યો હોય તો એ અનાજમાં વચ્ચે દબાઈ ના જાય એ પણ બહાર નીકળે જ.
કર્મનો સિદ્ધાંત એવું કહે છે માણસે પોતાના સારા અને ખરાબ બંને કર્મોનું ફળ ભોગવવાનું હોય છે. 10 સારા કર્મો હોય અને 2 ખરાબ કર્મો હોય તો સારા કર્મોમાંથી ખરાબ કર્મો બાદ થઇ જાય અને બાકી રહેતા સારા કર્મોનું ફળ ભોગવવા મળે એમ ના હોય. 10 સારા કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય અને 2 ખરાબ કર્મોનું ફળ પણ ભોગવવાનું થાય. બાબાના વકીલ દ્વારા બાબાએ કરેલા લોક કલ્યાણના કામો આગળ ધરીને બાબાને હળવી સજા કરવા વિનંતી કરી. કાયદા પ્રમાણે કોર્ટે આવી કોઈ દલીલને ગ્રાહ્ય રાખી નહિ. કર્મના સિદ્ધાંત પ્રમાણે સારા કામને આગળ ધરીને ખરાબ કર્મના ફળમાંથી છટકી શકાય નહિ.
ખરાબ કામના ફળમાંથી છટકવા માટે દાન ધર્માદો કે અન્ય આશરો લેનારા યાદ રાખે કે સારા કામના બદલામાં ખરાબ કામના ફળમાંથી બચી શકવાના નથી જ. હા એ ખરું કે જે સારું કામ કર્યું હશે એનું ફળ ભોગવવા પણ મળશે.
બની બેઠેલા ખોટા બાબાઓ અને બાવાઓની માયાજાળમાંથી પ્રભુ સૌને બચાવે એવી પ્રાર્થના અને કોર્ટને આવો ન્યાય કરવા બદલ વંદન.
Comments
Post a Comment