Skip to main content

ડો.અભય બંગ અને ડો.રાની બંગ એ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને અમેરિકા ગયા અને અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સીટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી.

અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પતિ-પત્ની બંનેએ ભારતમાં જ એમની પ્રેક્ટિસ શરુ કરી. એકવાર ડો. રાની પાસે એક સ્ત્રી એની બીમાર બાળકીને લઈને આવી. નવજાત બાળકીને તપાસીને ડો. રાનીએ એને બાળકોની હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી. પેલી સ્ત્રી એની દીકરીને લઇને જતી રહી. બે દિવસ બાદ એ સ્ત્રી ફરીથી બાળકીને લઈને ડો. રાની પાસે આવી. ન્યુમોનિયાને કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. બાળકીનું ત્યાં જ અવસાન થયું. ડો. રાની પેલી સ્ત્રી પર રીતસરના તાડૂક્યા "તારામાં કંઈ અક્કલ જેવું છે કે નહિ ? બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું કે આ છોકરીને હોસ્પિટલમાં દાખલ કર. તારી બેદરકારીને કારણે તારી દીકરીએ જીવ ગુમાવ્યો."



પેલી સ્ત્રીએ રડતા રડતા કહ્યું , "ડોકટર સાહેબ હું આને હોસ્પિટલ કેવી રીત લઇ જાવ ? એ માટે પૈસા તો જોઈએ ને ? મારે ચાર સંતાનો છે અને મારા પતિનું તાજેતરમાં જ અવસાન થયું છે. સંતાનોનું પેટ ભરવા માટે મારે રોજ કમાવા જવું પડે. હવે જો હું આને હોસ્પિટલમાં રાખું તો કમાવા ના જઈ શકું અને મારા બાકીના સંતાનો ભૂખ્યા મરી જાય. બહેન આ એકને બચાવવા હું બીજા ત્રણને કેમ મારી શકું ? અને બચાવવી હોય તો પણ મારી પાસે નૈયો પૈસો પણ નથી હોસ્પિટલનો અને દવાનો ખર્ચો કેમ કરવો ?"

ડો. રાની આ લાચાર માની સામે ફાટી આંખે જોઈ રહ્યા. આ ઘટનાથી એનું મન બેચેન થઇ ગયું. ગરીબ આદિવાસીઓ માટે કંઇક કરવાનો એણે સંકલ્પ કર્યો. એના પતિ ડો.અભય બંગ તો સેવાભાવી અને ગાંધીવાદી વિચારસરણી વાળા હતા એટલે એનો સાથ મળ્યો. પતિ-પત્ની બંનેએ મહારાષ્ટ્રના ગઢચિરોલી નામના 50000ની વસ્તીવાળા નાના શહેરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને આજુબાજુના ગરીબ આદિવાસીઓની આરોગ્ય સેવાનો યજ્ઞ શરુ કર્યો. કોઈ જાતની ફી લીધા વગર વિદેશમાં ભણેલા ગોલ્ડમેડાલીસ્ટ પતિ પત્ની ગરીબ આદિવાસીઓની સારવાર કરવાનું કામ કરી રહ્યા છે.

આપણે સાલું બીજા માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢી શકતા નથી અને આ દંપતીએ બીજાઓને પોતાનું આખું જીવન આપી દીધું.

ડો.અભય બંગ અને ડો.રાની બંગને લાખ લાખ વંદન.


Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર...